સેગવી સર્વોદય વિદ્યાલયનો ધોરણ -12નો વિદ્યાર્થી ઉત્સવ સોલંકીએ વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું.

   


વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ 2023ના કુલ 4426 પૈકી 4418 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

સમગ્ર વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી ઉત્સવ સોલંકી.

ઉત્સવ સોલંકીને કોમ્પ્યુટર સાયન્સમાં સોફટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા. 

વલસાડ જિલ્લામાં એ ૧ ગ્રેડમાં સ્થાન મેળવનાર વલસાડની સેગવી ગામની સર્વોદય વિદ્યાલયનો ઉત્સવ ડી.સોલંકી મૂળ વાંકલ ગામનો વતની અને હાલમાં વલસાડના તિથલ રોડ પર અનુપમ એપાર્ટમેન્ટમાં રહે છે. પિતા ધર્મેશકુમાર અમૃતસિંહ સોલંકી ધરમપુરના કરંજવેરી ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આચાર્ય છે, જ્યારે માતા ભાવિનીબેન નવસારી જિલ્લા પંચાયત સંચાલિત ખેરગામ તાલુકાની  જુની ભૈરવી પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. ઉત્સવ સોલંકીએ કુલ ૬૫૦માંથી ૫૯૮ માર્ક સાથે ૯૨ ટકા મેળવ્યા છે જ્યારે ઓવરઓલ પર્સન્ટાઈલ રેંક ૯૯.૯૫ ટકા મેળવ્યા છે. ઉત્સવે આઈઆઈટીમાં એડમિશન માટેનું સપનુ સાકાર કરવા જેઈઈ એડવાન્સની તૈયારી પણ શરૂ કરી છે. પિતા ધર્મેશકુમાર સોલંકીએ જણાવ્યું કે,ઉત્સવ ધો.૧માં ભણતો ત્યારથી પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે કેટલા ટકા આવશે તે કહી દેતો હતો અને તે મુજબ જ રિઝલ્ટ આવતુ હતું. આ વખતે પણ ધો.૧૨સાયન્સની પરીક્ષા આપીને ઘરે આવ્યા બાદ નોટબુકમાં લખ્યુ હતું કે, મેથ્સમાં૧૦૦માંથી ૧૦૦ ટકાઆવશે અને તે મુજબ જ માર્ક આવ્યા છે.પોતાની સફળતા અંગે ઉત્સવ કહે છે કે,મોબાઈલના ઉપયોગ વડે જ વિવિધ વિષયના શિક્ષકોના તજજ્ઞ વીડિયો નેટ પરથી જોઈને અભ્યાસ કર્યો હતો અને શાળામાં એનસીઈઆરટીના પુસ્તકોનું વાંચન તેમજ શિક્ષકોના માર્ગદર્શન થકી આ ઝળહળતી સફળતા મેળવી છે. મોબાઈલ પર એપ્લિકેશન વડે રોજના ૩ થી ૪ કલાક અભ્યાસ કરતો હતો. માઈન્ડ ફ્રેશ કરવા માટે જમતી વેળામાત્ર ૨૦ મીનિટ ટીવી જોઈ લેતો હતો. 


કુલ ૪૪૨૬માંથી ૪૪૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨૦૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા.

--- એ ૧ ગ્રેડમાં એક માત્ર વિદ્યાર્થી જ્યારે એ ૨ ગ્રેડમાં ૨૩ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું 

--- જિલ્લાના મુખ્ય પાંચ કેન્દ્રો પૈકી વલસાડ કેન્દ્રએ ૫૪.૬૭ ટકા સાથે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૩માં લેવાયેલી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે તા. ૨ મે ૨૦૨૩ના રોજ જાહેર થતા રાજ્યનું કુલ પરિણામ ૬૫.૫૮ ટકા આવ્યું છે. જ્યારે વલસાડ જિલ્લાનું કુલ પરિણામ ૪૬.૯૨ ટકા આવ્યુ છે. જિલ્લાના ૨૪ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાયેલી પરીક્ષામાં કુલ ૪૪૨૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૪૪૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૦૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ૨૩૫૩ વિદ્યાર્થીઓને સુધારાની જરૂર (Needs Improvement) છે. 

 ગાંધીનગર બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ સવારે જાહેર કરાયા બાદ વલસાડ જિલ્લામાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં એ ૧ ગ્રેડ (૯૧-૧૦૦ ટકા) માં એક માત્ર વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું હતું. જ્યારે એ ૨ ગ્રેડ (૮૧-૯૦ ટકા) માં ૨૩, બી ૧ ગ્રેડ (૭૧-૮૦ ટકા) માં ૧૦૬, બી ૨ ગ્રેડ (૬૧-૭૦ ટકા) માં ૨૨૨, સી ૧ ગ્રેડ(૫૧-૬૦ ટકા) માં ૪૯૪, સી ૨ ગ્રેડ (૪૧-૫૦ ટકા)માં ૮૭૪, ડી ગ્રેડ (૩૩-૪૦ ટકા) માં ૩૪૯, ઈ ૧ ગ્રેડ (૨૧-૩૨ ટકા) માં ૪ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ૨૩૫૩ વિદ્યાર્થીઓને પરિણામમાં સુધારાની જરૂર (Needs Improvement) વાળા વિદ્યાર્થીઓની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

 વલસાડ જિલ્લાના મુખ્ય ૫ કેન્દ્રોના પરિણામની વાત કરીએ તો ૫૪.૬૭ ટકા સાથે વલસાડ કેન્દ્ર પ્રથમ ક્રમે આવ્યું છે. જેમાં કુલ ૧૦૪૧ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી ૧૦૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૫૬૮ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. જ્યારે ૪૭૩ વિદ્યાર્થીઓમાં સુધારાની જરૂર છે. ૪૫.૫૯ ટકા સાથે બીજા ક્રમે વાપી કેન્દ્ર આવ્યું છે. જેમાં ૧૩૮૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે ૧૩૮૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૬૩૧ વિદ્યાર્થી પાસ થયા જ્યારે ૭૫૬ને સુધારાની જરૂર છે. ૪૫.૦૬ ટકા સાથે ધરમપુર કેન્દ્ર ત્રીજા ક્રમે આવ્યું છે. આ કેન્દ્ર પર કુલ ૯૨૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૯૨૧ એ પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૧૫ પાસ થયા છે જયારે ૫૦૭ને સુધારાની જરૂર છે. ડુંગરી કેન્દ્રએ ૪૪.૮૪ ટકા સાથે ચોથો ક્રમ મેળવ્યો હતો. આ કેન્દ્ર પર કુલ ૪૪૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૪૪૬એ પરીક્ષા આપી હતી.

માહિતી સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨ મે ૨૦૨૩ 

No comments:

Powered by Blogger.